તદાત્માનં સૃજામ્યહમ

ભક્ત જ્યારે ઈશ્વરને ‘આવાહનં ન જાનામિ’ આ ભૂમિકામાં રહીને સપ્રેમ સાદ પાડે છે, એની સાથે પ્રેમથી સંવાદ સાધીને કૃતજ્ઞ રહે છે, ત્યારે એ ભક્તનો સમગ્ર જીવનવિકાસ કરવા માટે, ભક્તના જીવનમાંથી દુષ્પ્રારબ્ધનો નાશ કરવા માટે, એને પોતાની કૄપાની છાયામાં લેવા માટે ઈશ્વર એ ભક્તના જીવનમાં કેવી રીતે અવતરીત થાય છે, એ અમે વાંચીએ છીએ ‘તદાત્માનં સૃજામ્યહમ’ એ પુસ્તકમાં.



‘આવાહનં ન જાનામિ’ કહેનારા ભક્તની પ્રેમળ સાદને ઈશ્વરે આપેલો પ્રતિસાદ છે, ‘તદાત્માનં સૃજામ્યહમ’. ‘તદાત્માનં સૃજામ્યહમ’ એ સ્વયંભગવાનનો અવાજ છે, એ સ્વયંભગવાને પોતાના ભક્ત સાથે સાધેલો પ્રેમસંવાદ છે, ભક્તની સાદને આપેલો પ્રતિસાદ છે અને સ્વયંભગવાને ભક્તનો કરેલો સ્વીકાર છે. 

‘તદાત્માનં સૃજામ્યહમ’ આ પુસ્તક અમને કહે છે કે અનંતકોટી બ્રહ્માંડના સંચાલક એવા આ સ્વયંભગવાન સર્વવ્યાપક હોવાની સાથે સર્વહદયસ્થ પણ છે અને એ ભક્તની એટલા નજીક છે કે પ્રત્યેક ભક્તના હદયમાં વિરાજમાન છે અને આથી જ એને આવાહન કેવી રીતે કરવુ એ ભાવ ભક્તના મનમાં ઉમટે છે અને એમાંથી ભક્તનો અવાજ ઉભરે છે, ‘આવાહનં ન જાનામિ’.

‘તદાત્માનં સૃજામ્યહમ’ આ પુસ્તકની શરુઆતમાં સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ કહે છે - 
‘કિડીમકોડાથી લઈને દરેક પ્રાણીઓમાં અને મારામાં કોઈ જ ભેદ નથી. હું પણ એવો જ એક સર્વસાધારણ જીવ છુ, આ બધાની જેમ જ મૂળ ચૈતન્યનો એક અંશ. એક નીરવ શાંતીની મહન્મંગલ ક્ષણે, મેં એક અવાજ સાંભળ્યો અને પછી ધીરે ધીરે એ અવાજનો સ્ત્રોત અનાહત સંદેશ બનીને લેખણી વાટે સહજતાથી અને સ્વધર્મથી વહેવા લાગ્યો. એ પ્રાગટ્ય એટલે જ આ લેખન અને આલેખન. આમાં મારુ અને મારા ‘હું’ પણાનું કંઈ જ ન હતુ, જરા પણ નહીં અને ક્યારેય ન હોય, એ જ સદ્‍ગુરુ ચરણે પ્રાર્થના.’